બેડી યાર્ડના તલના વેપારીની ઝેરી દવા પી લઈ આત્મહત્યા
17-05-2025
દેણાને કારણે આર્થિક ભીસમાં સપડાઈ જતાં
મોરબી રોડ પરનાં ઓમ પાર્ક શેરી નંબર-૧માં રહેતા બેડી યાર્ડનાં વેપારી શશીકાંતભાઈ શિવલાલભાઈ ચંદારાણા (ઉ.વ.૫૫)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ધંધો બરાબર નહી ચાલતા અને તેને કારણે દેશું થઈ જતા આર્થિક ભીસમાં સપડાઈ જતા આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બેડીમાં આવેલી પોતાની ઓફિસે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા, પરિવારમાં કલ્પાંત
મૂળ કુવાડવાનાં રફાળા ગામનાં વતની શશીકાંતભાઈ બેડી યાર્ડમાં તલનો વેપાર કરતા હતાં. ગઈકાલે સવારે બેડી યાર્ડમાં આવેલી પોતાની ઓફીસે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યું નિપજયું હતું.
તપાસમાં એવું બહાર આવ્યું છે કે, શશિકાંતભાઈ કાલાવડના નિકાવા ગામે જઈ કરિયાણાનો વેપાર કરતા હતાં. વર્ષો સુધી નિકાવા ગામે વેપાર કર્યા બાદ હળવદમાં વેપાર શરૂ કર્યો હતો. જે દરમિયાન દેણાંમાં ડુબી જતાં સતરેક મહિના પહેલા રાજકોટ રહેવા આવ્યા હતાં અને બેડી યાર્ડમાં પુત્રનિશાંત સાથે મળી તલનો વેપાર શરૂ કર્યો હતો.
પરંતુ ધંધામાં મંદીને કારણે છેલ્લા છએક માસથી દેવું થઈ જતાં આર્થિક ભીસમાં સપડાઈ ગયા હતાં. જેમાંથી બહાર નિકળવાનો કોઈ માર્ગ નહિ મળતા ગઈકાલે પોતાની ઓફિસમાં આત્મયાતી પગલું ભરી લીધું હતું. તે વખતે ઓફીસમાં તેનો પુત્ર નિશાંત પણ હાજર હતો. તેની જાણ બહાર આ પગલું ભર્યું હતું. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી જમાદાર પ્રશાંતભાઈ રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.