જામનગરના ઊંડ-1 ડેમમાંથી આજે સિંચાઈનું પાણી છોડાશે
11-04-2025
15 ગામોને જરૂરી સાવચેતી રાખવા તાકિદ
જામનગર તાલુકાના નંદપુર ગામ નજીકના ઉંડ-૧ ડેમમાંથી તા. ૧૧ના પાણી છોડવામાં આવનાર છે. આથી હેઠવાસના ૧૫ ગામને સાવચેત રહેવા સુચનાં આપવામાં આવી છે. બીજી તરફ વિરોધ પ્રદર્શનની દહેશત વચ્ચે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે.
કેટલાક ગ્રામ્ય વિસ્તારો દ્વારા પાણી છોડવા સામે અગાઉ વિરોધ પ્રદર્શન થયા હોવાથી સાવચેતી માટે પોલીસ બંદોબસ્ત મંગાયો
જામનગર ના ઉંડ-૧ ડેમના તા. ૧૧ના સવારે સાત વાગ્યે દરવાજા ખોલવામાં આવનાર છે. હેઠવાસના ચેક ડેમો ભરવા માટે આ ડેમ ના દરવાજા ખોલવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવતા તમાચણ, રોઝીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા, વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુ વડલા, માધાપર, વાંકિયા, અને લખતર ગામના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને નદીના પટમાં અવર-જવર નહી કરવા, માલ-મિલ્કત તથા ઢોર ઢાંખરને નદીના પટમાં નહીં જવા દેવા સૂચના આપવામાં આવી છે.
જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરએ જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવી પાણી છોડતા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવવાની પણ માંગણી કરી છે. ઉંડ-૧ સિંચાઈ યોજનાના સાત ગામ ડુબમાં ગયેલ છે. અને તેમાંથી ૧૭નવા ગામો બન્યા હતાં. અસરગ્રસ્ત બનેલા ગામની રજુઆત હતી કે તેઓનો પાણી ઉપર પ્રથમ હકક થાય છે. તેવી માંગણી, રજૂઆતો ભૂતકાળમાં થવા પામી હતી. ઉપરાંત નદીમાં પાણી છોડવા સામે વિરોધ પણ થયો હતો. પથ્થરમારો પણ કરાયો હતો. તે અંગે જે-તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. આથી પાણી છોડતા સમયે અસરગ્રસ્ત ગામો દ્વારા ઉગ્ર વિરોધ થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં દાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરવામાં આવી છે.